વાણિજ્યિક કોલસા ખાણકામને પ્રોત્સાહન આપવા અને ક્ષેત્રમાં ખાનગી રોકાણ આકર્ષવાના પ્રયાસોના રૂપે, સોમવારે કોલસા મંત્રાલય ગાંધીનગરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી અને રોકાણની તકો પર રોડ શો યોજશે. એનો ઉદ્દેશ્ય ભારતના કોલસા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને વેગ આપવા માટે ઉદ્યોગના ભાગીદારો, સંભવિત રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એક મંચ પર એકઠા કરવાનો છે.
કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્ય પ્રધાન સતીશચંદ્ર દુબે એમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે કોલસા મંત્રાલયનાં અધિક સચિવ રૂપિન્દર બ્રાર અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. તેઓ હરાજી પ્રક્રિયા, રોકાણના પરિદૃશ્ય અને ક્ષેત્રમાં વૃદ્ધિને આગળ ધપાવતી સરકારી પહેલ વિશે સમજ આપશે.
કોલસા મંત્રાલય વાણિજ્યિક કોલસા ખાણકામને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ રોડ શો થકી ભાગીદારો સાથે સક્રિયપણે જોડાઈ રહ્યું છે. કોલકાતા અને મુંબઈમાં સફળ કાર્યક્રમો પછી, મંત્રાલય હવે સંભવિત રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓને આકર્ષવા ગાંધીનગરમાં રોડ શો યોજી રહ્યું છે. વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનું આગામી બારમું રાઉન્ડ માર્ચના બીજા અઠવાડિયે શરૂ થવાની અપેક્ષા છે. સ્થાનિક કોલસા ઉત્પાદન વધારવા અને ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને એ મજબૂત બનાવે છે.
રોડ શો કોલસાના ઉત્પાદનને વેગ આપવા, કાર્યક્ષમતા વધારવા, નીતિગત સમર્થન આપવા અને ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા સરકારની પહેલોને પ્રકાશિત કરતો મંચ છે. સહભાગીઓ કોલસા બ્લોકની ઉપલબ્ધતા, રોકાણની તકો અને કોલસાના વેપારની સરળતા વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવશે. નિષ્ણાતો કોલસા ટેકનોલોજીમાં પ્રગતિ, સ્થિરતાના પગલાં અને પારદર્શક અને સ્પર્ધાત્મક બજારને પ્રોત્સાહન આપવાના હેતુથી નીતિગત સુધારાઓ પર પણ પ્રકાશ પાડશે.
વાણિજ્યિક કોલસા ખાણની હરાજી ભારતના કોલસા ભંડારની શક્યતાઓને ઉજાગર કરવામાં, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને આકર્ષવામાં અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રોકાણકારો-મૈત્રીપૂર્ણ નીતિઓ અને તકનીકી પ્રગતિઓ સાથે, કોલસા મંત્રાલય દેશની ઊર્જા સુરક્ષા અને આર્થિક વિકાસાં લક્ષ્યોને સુસંગત કરતાં મજબૂત અને ટકાઉ કોલસા ક્ષેત્ર સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.